Regional Vibrant Summit: ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે આજે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’નો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથથી સીધા રાજકોટ પહોંચી આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Continues below advertisement

 

વિકાસનું નવું કેન્દ્ર: પશ્ચિમ ગુજરાત11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન ચાલનારી આ પરિષદમાં કચ્છ અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રદેશમાં રોકાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે. પરિષદમાં ખાસ કરીને નીચેના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:

  • સિરામિક્સ અને એન્જિનિયરિંગ: મોરબી અને રાજકોટના ક્લસ્ટરને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવું.
  • પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ: પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠાનો આર્થિક વિકાસ.
  • ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલ્સ: ટકાઉ ઉર્જા સ્ત્રોતો પર ભાર.
  • ટૂરિઝ્મ: સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને નવી ઓળખ આપવી.

મોટા રોકાણો અને વૈશ્વિક જોડાણ

  • આ પરિષદમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી અને ધનરાજ નથવાણી જેવા અગ્રણી ઉદ્યોગપતિઓ સહભાગી થયા છે.
  • સહભાગી દેશો: જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન પાર્ટનર દેશો તરીકે જોડાયા છે.
  • ડેલિગેટ્સ: 350થી વધુ વિદેશી પ્રતિનિધિઓ અને 5000થી વધુ ઉદ્યોગકારોની ઉપસ્થિતિ.
  • MoU: અંદાજે 1500થી વધુ MoU થવાની શક્યતા છે, જેમાં માત્ર આ સમિટ દરમિયાન જ કરોડોના રોકાણોની સંભાવના સેવાઈ રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધનકાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર આજના સમયની માગ પ્રમાણે ઉદ્યોગકારોને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. ગુજરાતના દરેક ખૂણે સુરક્ષાની ખાતરી છે અને અમે જે વચનો આપીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ. આ પ્રાદેશિક પરિષદો દ્વારા રાજ્યની ચારેય દિશામાં ઉત્પાદનના મોટા સેક્ટર્સ કાર્યરત થશે."

વિકેન્દ્રિત વિકાસનું વિઝન

  • રાજ્ય સરકાર દ્વારા કુલ ચાર પ્રાદેશિક પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે:
  • ઉત્તર ગુજરાત: મહેસાણા (ઓક્ટોબર 2025) - પૂર્ણ.
  • પશ્ચિમ ગુજરાત (કચ્છ-સૌરાષ્ટ્ર): રાજકોટ (જાન્યુઆરી 2026) - વર્તમાન.
  • દક્ષિણ ગુજરાત: સુરત (એપ્રિલ 2026).
  • મધ્ય ગુજરાત: વડોદરા (જૂન 2026).

પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા માટે આ પ્રાદેશિક પરિષદો પાયાનો પથ્થર સાબિત થશે. આ પરિષદોની સફળતા અને તેના પરિણામો જાન્યુઆરી 2027માં યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'માં પ્રદર્શિત કરવામાં આવશે.