post office new facility: જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે, તો તમારા માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. ટપાલ વિભાગે હવે દેશભરની તમામ શાખા (બ્રાન્ચ) પોસ્ટ ઓફિસોમાં આધાર-આધારિત e-KYC ની નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સિસ્ટમથી પાત્ર ખાતાધારકો કોઈપણ જાતના કાગળિયા કે ફોર્મ ભર્યા વગર ₹50,000 સુધીની રકમ જમા કરાવી શકશે અને ₹20,000 સુધીનો ઉપાડ પણ સરળતાથી કરી શકશે. આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી 1 સપ્ટેમ્બર, 2026 થી ઓનલાઈન કે ડિજિટલ વ્યવહારો ચાલુ રાખવા માટે ખાતા સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત બની જશે.
કેટલી રકમની લેવડદેવડ કરી શકાશે?
અગાઉ આ સુવિધા માત્ર મોટી (વિભાગીય) પોસ્ટ ઓફિસોમાં જ મળતી હતી, પણ હવે તેને ગામડાની કે નાની બ્રાન્ચ પોસ્ટ ઓફિસો સુધી પણ વિસ્તારવામાં આવી છે. નવા નિયમ મુજબ, જેમનું e-KYC પૂરું થઈ ગયું છે તેવા ખાતાધારકો કોઈ પણ પે-ઇન સ્લિપ ભર્યા વિના ₹50,000 સુધી સીધા જમા કરાવી શકે છે. જ્યારે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA) ધરાવતા ગ્રાહકો ₹20,000 સુધીનો ઉપાડ કોઈપણ જાતના કાગળિયા વગર કરી શકશે. જો તમારે આનાથી વધુ રકમની લેવડદેવડ કરવી હોય, તો તમારે જૂની કાગળવાળી પ્રક્રિયા અને મૂળ પોસ્ટ ઓફિસની મંજૂરી લેવી પડશે.
કયા ખાતાઓને અને ક્યાં મળશે આ લાભ?
આ સુવિધાનો લાભ મુખ્યત્વે નીચે મુજબના ખાતાધારકોને મળશે:
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)
રિકરિંગ ડિપોઝિટ (RD)
સુકન્યા સમૃદ્ધિ ખાતું (SSA)
ખાસ વાત એ છે કે, જો તમારું આધાર વેરિફિકેશન થઈ ગયું છે, તો તમે દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાંથી આ લેવડદેવડ કરી શકશો. પરંતુ, જેમણે આધાર વેરિફિકેશન નથી કરાવ્યું, તેઓ માત્ર એ જ બ્રાન્ચમાં વ્યવહાર કરી શકશે જ્યાં તેમનું ખાતું ચાલે છે. ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, હાલ આ સુવિધા માત્ર 'સિંગલ' ખાતાઓ માટે જ છે; જોઈન્ટ કે સગીર (નાના બાળકોના) ખાતાઓને હજુ આમાં આવરી લેવાયા નથી.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: દર મહિને ₹3500 ના રોકાણ પર મળશે ₹2.49 લાખ, જાણો કમાણીનું ગણિત
મોબાઈલ નંબર અને આધાર લિંક કરાવવું ફરજિયાત
આ e-KYC સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકના ખાતા (CIF) સાથે આધાર અને મોબાઈલ નંબર બંને લિંક હોવા અત્યંત જરૂરી છે. ટપાલ વિભાગે સ્પષ્ટ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026 થી જે ખાતાઓમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય, તેવા ગ્રાહકો DREAM એપ દ્વારા કોઈ પણ જાતનો વ્યવહાર કરી શકશે નહીં. ગ્રાહકની ડિજિટલ સંમતિ મળ્યા બાદ જ તેમનું નામ, જન્મતારીખ, સરનામું વગેરે માહિતી UIDAI ના ડેટાબેઝમાંથી મેળવીને e-KYC પૂરું કરવામાં આવશે.
માસ્ક્ડ આધારનો જ ઉપયોગ થશે
ગ્રાહકોની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે ટપાલ વિભાગે તમામ પોસ્ટ ઓફિસોને એક કડક નિર્દેશ આપ્યો છે. ખાતા સંબંધિત તમામ દસ્તાવેજોમાં ફરજિયાતપણે 'માસ્ક્ડ આધાર' (જેમાં આધાર નંબરના શરૂઆતના આંકડા છુપાવેલા હોય) નો જ ઉપયોગ કરવાનો રહેશે, જેથી કોઈ ડેટાનો દુરુપયોગ ન કરી શકે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે 8.2% વ્યાજ, રોકાણ કરતા પહેલા જાણી લો વળતરનું ગણિત
