UPI ટ્રાન્ઝેક્સન પર વધારાના ચાર્જને લઈને NPCIની સ્પષ્ટતા, જાણો તમારા ગજવા પર શું અસર થશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2021 12:36 PM (IST)
એવા અહેવાલ વહેતા થયા હતા કે જે લોકો UPIથી ચુકવણી કરે છે, તેમને એમેઝોન પે, ગૂગલ પે અને ફોનપેથી ચુકવણી પર વધારાનો ચાર્જ આપવો પડશે.
નવી દિલ્હીઃ જે લોકો UPI એપથી લેવડદેવડ અથવા ચુકવણી કરે છે, તેમના માટે રાહતના સમાચાર છે. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે એક જાન્યુઆરી, 2021થી UPI ચુકવણી પર વધારાનો ચાર્જ લગાવવામાં આવશે. જોકે UPI ચુકવણી પર ચાર્જ વિશેના આ અહેવાલો ખોટા છે, એમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ એક નિવેદનમાં કહ્યું હતું. NPCIએ કહ્યું કે કેટલાક મિડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષથી UPI ટ્રાન્ઝેક્સન પર વધારાનો ચાર્જ આપવો પડશે, તે સમાચાર ખોટા છે, ગ્રાહકોની ચિંતા જોતા NPCIએ તમામને આ સંદેશ મોકલ્યો છે, National Payments Corporation of Indiaએ કહ્યું કે તમામ યુઝર પહેલાની જેમ જ UPI દ્વારા લેવડ-દેવડ કરી શકે છે. પહેલા કેટલાક મિડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે Amazon Pay, Google Pay અને Phone Pay જેવી થર્ડ પાર્ટી એપની સેવા આપતી કંપનીઓ પર NPCI એ 1 જાન્યુઆરી 2021થી 30 ટકા કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં એવા અહેવાલ વહેતા થયા હતા કે જે લોકો UPIથી ચુકવણી કરે છે, તેમને એમેઝોન પે, ગૂગલ પે અને ફોનપેથી ચુકવણી પર વધારાનો ચાર્જ આપવો પડશે. આવા અહેવાલોમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે NPCIએ એક જાન્યુઆરીથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડરો દ્વારા સંચાલિત UPI ચુકવણી સર્વિસ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. પરંતું હવે NPCIએ સ્પષ્ટતા કરતા લાખો ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો છે.