Jammu Reasi Bus Attack: જમ્મુ અને કાશ્મીરમાં જે બસ પર હુમલો થયો હતો તે બસમાં મુસાફરી કરી રહેલા 21 વર્ષીય સૌરવ ગુપ્તાએ અન્ય મુસાફરોને ચેતવણી આપવા માટે એલાર્મ વગાડ્યું હતું, પરંતુ ત્યાં તો  ગોળી તેની ગરદનના પાછળના ભાગમાં વાગી હતી. રવિવારે જમ્મુના રિયાસીમાં એક બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નવ શ્રદ્ધાળુઓમાં સૌરવ પણ સામેલ હતો. સૌરવના પિતા કુલદીપ ગુપ્તા અને પરિવારના અન્ય સભ્યો મૃતદેહને એમ્બ્યુલન્સમાં દિલ્હી લાવ્યા હતા.


મંગળવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના મંડોલી વિસ્તારમાં તેમના ઘરની નજીક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સૌરવ તેની પત્ની શિવાની ગુપ્તા સાથે જમ્મુના વૈષ્ણોદેવી મંદિરમાં બાળકના જન્મની પ્રાર્થના કરવા ગયો હતો. બે વર્ષથી પરણેલા આ દંપતી એ જ દિવસે ઘરે પરત ફરવાના હતા. સૌરવના કાકા મનોજ ગુપ્તાએ જણાવ્યું કે, "શિવાનીએ તેના પતિને તેની આંખો સામે મરતા જોયા, તે બેભાન છે."


પતિનું મોત, પત્ની ઘાયલ


તેણે કહ્યું કે "જ્યારે આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો ત્યારે સૌરવ ડ્રાઈવરની પાછળની વિન્ડો સીટ પર બેઠો હતો. ફાયરિંગ શરૂ થતાં જ તેણે એલાર્મ વગાડ્યું, પરંતુ તેને ગોળી વાગી ગઈ. ગોળી તેને ગળાના પાછળના ભાગમાં વાગી, કારણ કે તે બારી પાસે બેઠો હતો." મનોજ ગુપ્તાએ જણાવ્યું કે શિવાની આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગઈ હતી, પરંતુ બસ ખાઈમાં પડી જતાં તેને પગ અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી.


શિવાની હાલમાં નર્સિંગ હોમમાં સારવાર હેઠળ છે. ત્રણ વર્ષની ઉંમરે માતા ગુમાવનાર સૌરવના પરિવારમાં તેની પત્ની, પિતા અને એક નાનો ભાઈ છે. સૌરવનો નાનો ભાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સૌરવ ગાંધી નગર વિસ્તારમાં એક એક્સપોર્ટ હાઉસમાં નોકરી કરતો હતો.