ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે અશાંત ધારાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થઈ હતી. આ દરમિયાન ભાજપના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ચોંકાવનારો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પાસપાસે રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારોમાં લવ જેહાદના નામે લગ્ન થયા બાદ હિંદુ યુવતીઓને રીતસર વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાતી હોવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે. આ સંજોગોમાં અશાંત ધારો યોગ્ય છે અને તેને નાબૂદ ના કરવો જોઈએ.


ગુરૂવારે રાજ્યમાં અશાંત ધારો દૂર કરવાની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કર્યું હતું. ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે, ભાજપ સરકાર કાશ્મીરમાં કલમ 370 દૂર કરીને બહારનાં લોકોને પણ મિલકત ખરીદવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાતમાં અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ હટાવી દેવો જોઈએ.



મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જવાબ આપતાં કહ્યું હતું કે. રાજ્યમાં 1988માં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કાયદો અમલી બનાવ્યો હતો પણ તે વખતે તેનો યોગ્ય અમલ થયો ન હતો. હવે અમારી સરકારે આ કાયદાનો સખ્તાઇથી અમલ કર્યો છે. સુલેહ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી અશાંત ધારાનો વ્યાપ વધારાયો છે ખેડાવાલાએ રજૂ કરેલું પ્રાઇવેટ બિલ પરત નહીં ખેંચતાં ભાજપે બહુમતીના આધારે આ બિલ નકારી કાઢ્યું હતું.