ગાંધીનગરઃ ગઈ કાલે રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 36 શહેરોમાંથી 18 શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તી આપી છે. જ્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે. આ નિયમોની અમલવારી આગામી તા. ૨૭ જૂનથી બે સપ્તાહ સુધી રહેશે.


આ કર્ફ્યૂવાળા શહેરોને લઈને રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફર્ફ્યુવાળા ૧૮ શહેરોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. વેક્સિનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુવાળા ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 


તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. જ્યારે અંતિમક્રિયા અને દફનવિધિ પ્રક્રિયામાં ૪૦ લોકોને છૂટ આપવામાં આવી છે.  આ સિવાય સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે. 


મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ જેની સેવા કર્ફ્યુના સમયમાં પણ ૨૪ કલાક ચાલુ રહેશે. બસોમાં કંડક્ટર-ડ્રાઇવરના સ્ટાફે ફરજિયાત વેક્સિનેશન કરવાનું રહેશે.  તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાર્ક અને ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. 


મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અપાયેલી છૂટછાટમાં લોકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને માસ્ક, સેનેટાઇઝ, સામાજિક અંતર અને મહત્તમ વેક્સિન કરાવવાનું રહેશે જેથી કોરોનાની ત્રીજી લહેરથી આપણે બચી શકીએ.  
આ નિયમોની અમલવારી આગામી તા. ૨૭ જૂનથી બે સપ્તાહ સુધી રહેશે.  


આ કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર, આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.