ગાંધીનગરઃ રાજ્યમાં લોકડાઉન વચ્ચે લોકોને સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 16 પૈસાનો ઘટાડો કરાયો છે.આ નિર્ણયથી રાજ્યના 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે.


ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે. જેને કારણે વીજ ઉત્પાદન ખર્ચ ઓછો થયો છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેથી અંદાજે 1.30 કરોડ થી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે.

સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વીજ વપરાશકર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવાય છે. આ ફ્યુઅલ સરચાર્જની વસૂલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલા ના આધારે વસૂલવામાં આવે છે.

પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી 2020થી માર્ચ 2020 દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસૂલાત પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ 2020થી જૂન 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90 ના દરે વસૂલવાનો થાય છે.