ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યનાં પાંચ મોટાં શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 માળ સુધીની ઈમારતોના નિર્માણને મંજૂરી આપી છે. રૂપાણી સરકારના આ નિર્ણથી હવે ગુજરાતનાં પાંચ શહેરોમાં પણ વિદેશનાં શહેરોની જેમ સ્કાયસ્ક્રેપર્સ એવી પચાસથી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે.


આ નિર્ણય દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ 23 માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70 માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશેય.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે.

જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે એવા વિકાસલક્ષી અભિગમથી રાજ્ય સરકારે ગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો.