Gandhinagar: આજકાલ સાયબર ક્રાઈમ ખુબ વધી રહ્યા છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમતેમ છેતરપિંડી પણ વધી રહી છે. ઠગ લોકોને એનકેન પ્રકારે લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. જેથી લોકોને ઘણીવાર મોટું આર્થિક નુકસાન થાય છે.હવે આ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
ઓનલાઇન એપ્લિકેશન લોન્ચ
આ અંગે વિગતે વાત કરીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના 'આઈ પ્રગતિ’ અને 'તેરા તુજકો અર્પણ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.
ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા બે પોર્ટલના લોન્ચિંગ
ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવામાં ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા બે પોર્ટલના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રીએ ભારતીય સેનાના ઓપરેશન સિંદુરનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોની સેવા, કાયદો-વ્યવસ્થાના પાલન તેમજ દેશની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાની નેમ દર્શાવવાની સાથોસાથ પોલીસ દળના મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ થકી વિકસિત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ એપ લોન્ચ થવાથી ઘણા ફાયદો થશે.