ગાંધીનગરઃ આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેશુબાપાએ મારા અને મારા જેવા અન્ય યુવાન કાર્યકર્તાઓના ગુરુ રહ્યા. કેશુબાપાના પ્રેમાળ સ્વભાવ દરેક વ્યક્તિને ગમતો હતો. કેશુબાપાનું નિધન ક્યારેય પૂરી ન કરી શકાય તેવી ખોટ છે.


તેમણે જણાવ્યું હુતં કે, જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા માટે કેશુભાઈએ લાંબી સફર ખેડી હતી. ખેડૂતોની સમસ્યાઓ હંમેશા કેશુબાના દિલામાં રહેતી હતી. કેશુબાપા ભલે ધારાસભ્ય રહ્યા હોય, સાંસદ કે પછી રાજ્યના મુખ્યમંત્રી એમને હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા. તેમણે કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.


આજે સવારે પોણા અગિયાર આસપાસ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે 11.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી છે.

કેશુભાઈ પટેલના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું છે. એટલું જ નહીં, કેશુબાપાનું નિધન થતા ભાજપે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાના થયા છે. ગાંધીનગર પહોંચી તેઓ સીધા જ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે, જેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. થોડીવારમાં તેમનો પાર્થિવદેહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લઈ જવાશે.