અમદાવાદ: જ્યારથી હાર્દિક પટેલને કોર્ટે રાહત આપી છે ત્યારથી અટકળો વહેતી થઈ છે હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે કેમ ? અને જો લડશે તો કઈ બેઠક પરથી લડશે તે અંગે સૌના મનમાં સવાલો છે. તો આ અંગે હાર્દિક પટેલે ABP ન્યૂઝ સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટના આ નિર્ણયને ચૂંટણી સાથે ન જોડવો જોઈએ. આ પહેલા સમાજ માટે અને લોકોના હિત માટે જે કામ અમે રસ્તાઓ પર કરી રહ્યા હતા હવે તે કામ લોકસભામાં કે વિધાનસભામાં જઈને કરવાની કોર્ટે તક આપી છે.


 



હાર્દિક પટેલના જ્યારે પૂછવામાં આવ્યું તમે કઈ બેઠક પરથી ચૂંટણી લડશો ત્યારે તેમણે કહ્યું કે, સ્વાભાવિક છે જ્યારે ચૂંટણી લડવાની વાત આવે ત્યારે કોઈપણ ઉમેદવાર તેના વતનમાં કે ક્યાં તેના શુભચિંતકો વધુ છે જે વિસ્તાર પસંદ કરે છે. મારૂ વતન વિરમગામ છે જો મને મોકો મળશે તો તેના વિકાસ માટે કામ કરીશ. આ ઉપરાંત પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ.


 



નરેશ પટેલ અંગે તેમણે કહ્યું કે, પાર્ટી હાઈ કમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જલદી નિર્ણય કરવો જોઈએ. આમા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે. અઢી મહિના થયા હજી સુધી નરેશ પટેલ અંગે પાર્ટી કોઈ નિર્ણય કરી શકી નથી. પાર્ટીએ નરેશ પટેલને સામેલ કરવા અંગે હા કે ના નિર્ણય જણાવવો જોઈએ. નરેશ પટેલ અંગે જ્યારે મીડિયામાં ખોટા સમાચારો સામે આવે છે ત્યારે દુખ લાગે છે.


2 દિવસોમાં અમારા નેતાઓ નિર્ણય નહિ કરે તો હું મારો નિર્ણય જાહેર કરીશ: કામિનીબા
ગાંધીનગરઃ દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના જ પક્ષના કેટલાક નિર્ણયોથી નારાજ છે. મંગળવારે ગાંધીનગર ખાતે તેમની નારાજગી ખાળવા એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે પણ કોઈ પરિણામ આવ્યું નથી. abp અસ્મિતા સાથેની વાતમાં કામિનીબા રાઠોડે જણાવ્યું કે, મારી લડાઈ આત્મસન્માનની છે. ભાજપે મને રૂ. 25 કરોડની ઓફર કરી હતી ત્યારે પણ હું કોંગ્રેસને વફાદાર રહી હતી. આજે મારા મત વિસ્તારના નિર્ણયોમાં મને પૂછવામાં નથી આવતું અને પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા આપવામાં આવે છે. ગઈકાલની બેઠક બાદ કોઈએ મારી સાથે ચર્ચા કરી નથી. હું બે દિવસ રાહ જોઇશ નહિ તો હું મારો નિર્ણય જાહેર કરીશ.