અમદાવાદઃ ગુજરાતના વિજય રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને પુનર્રચનાની અટકળો વહેતી થઇ છે અને એવી વાતો ચાલી રહી છે કે, ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ મંત્રીને પડતા મૂકાશે.


આ મંત્રીઓમાં પુરષોતમ સોલંકી ઉપરાંત આર.સી.ફળદુ, વિભાવરી દવે, વાસણ આહિરનો સમાવેશ થાય છે એ પ્રકારના અહેવાલ ગુજરાતના એક ટોચના અખબારમાં પ્રકાશિત થયા છે. આ ચાર મંત્રી ઉપરાંત અન્ય એકાદ મંત્રીની બાદબાકી પણ થઇ શકે છે એવો આ અહેવાલમાં દાવો કરાયો છે.

આ રાજકીય અફવાને પગલે અત્યાર સુધી માંદગીના બિછાને પડેલાં મંત્રી પુરષોત્તમ સોલંકીએ ઘણાં લાંબા સમય બાદ સચિવાલયમાં દેખા દીધી હતી.

જો કે કોળી સમાજની બેઠકમાં ભાગ લીધા બાદ મંત્રી પુરષોતમ સોલંકીએ જણાવ્યું કે, મને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની વાત જ નથી. જો એવું હશે તો મારા કોળી સમાજે વિચાર કરવાનો છે. મારી નાદુરસ્ત તબિયતને કારણે પડતા મૂકવા હોત તો કયારના ય મંત્રીમંડળમાં પડતો મૂકાયો હોત. મેં પાર્ટી માટે ઘણું કર્યુ છે.