ગાંધીનગર: આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી છે. આ SOP મુજબ રાજ્યમાં માત્ર 56 મિનિટમાં જ દેશભક્તિના પર્વને પૂર્ણ કરવો પડશે. તેમજ પ્રજાસત્તાક દિને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં એક હજાર લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 400 લોકો હાજર રહી શકશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 250 લોકો સામેલ થઈ શકશે.


પ્રજાસત્તાક પર્વમાં સામેલ થનાર દરેક લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડીને SOP જાહેર કરી છે.

પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2021ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લા ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.

રૂપાણી કેબિનેટના મંત્રીઓમાં આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, સૌરભ પટેલ અમદાવાદમાં, કૌશિક પટેલ ગાંધીનગરમાં, ગણપત વસાવા સુરતમાં, જયેશ રાદડીયા કચ્છમાં, ઈશ્વર પરમાર નવસારીમાં, કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.