રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 



રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78  ટકા છે.  


કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે  રાહતના સમાચાર આવ્યા છે. નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં  ભાવનગર કોર્પોરેશન 8, તાપી 7, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, અમદાવાદ 5, બોટાદ 5, ડાંગ 4, ગાંધીનગર 4, નર્મદા 3, પાટણ 3, છોટા ઉદેપુર 1, મોરબી 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. આ તમામ જિલ્લાઓમાં માત્ર છોટા ઉદેપુરમાં 1 મોત થયું છે. 


ભાવનગર કોર્પોરેશનમાં 27,  તાપી 9, દાહોદ 10, દેવભૂમિ દ્વારકા 27, અમદાવાદ 15,  ગાંધીનગર 21, નર્મદા 65, પાટણ 26, છોટા ઉદેપુર 13, મોરબી 15 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  


ગુજરાતમાં રસીકરણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રસીકરણને  ઝડપી બનાવવા માટે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં  આવ્યો છે. આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોનું રસીકરણ કરવામાં આવશે.


રાજ્યમાં 1 મેથી 18થી મોટી ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અને કોરોના સામેની લડાઈમાં રસીકરણ ખુબ જ મહત્વનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણને વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.