હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સૌરાષ્ટ્રમાં એક ઈંચથી લઈને 12 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ઉનાનાં જંગલ વિસ્તારમાં 12 ઈંચ તો ખાંભામાં 6 ઈંચ અને કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાયો હતો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં અને અનેક સ્થળોએ કોઝવે પરથી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક ચાલુ રહી હતી. માણાવદરનાં મટીયાણા ગામે પણ 10 ઈંચ વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.

ઉના પંથકના રાવલ ડેમ પર 12 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ગીર જંગલમાં 10થી 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ ઉપરાંત ખાંભામાં 6 ઈંચ, શેરગઢમાં 8 ઈંચ, કેશોદમાં સાડા પાંચ ઈંચ, અને જામકંડોરણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લીલીયામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજકોટમાં બપોરે તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર બે ઈંચ વરસાદ વરસતાં રસ્તાઓ જળબંબોળ થઈ ગયા હતાં. જામકંડોરણામાં પણ બપોરે દોઢ વાગ્યાથી બે કલાકમાં સાંબેલાધારે ત્રણ ઈંચ વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. લોધીકામાં દોઢ ઈંચ તથા પડધરીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદરમાં જોરદાર ઝાપટુ તથા રાણાવાવ અને કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી અને દ્વારકા જિલ્લામાં છૂટા છવાયા ઝાપટાં વચ્ચે ભાણવડમાં બપોરે અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે શનિવાર રાત્રે ખંભાળિયામાં છ ઈંચ અને કલ્યાણપુરમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા અને ઉના પંથકમાં મેઘકૃપા ચાલુ રહી હતી. ઉના અને ગીરગઢડામાં અડધો ઈંચ જ વરસાદ પડ્યો હતો પરંતુ આસપાસ ગીર જંગલમાં 12 ઈંચ જેટલા અનરાધાર વરસાદથી રાવલ અને મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. રાવલ ડેમ વિસ્તારમાં પણ છ ઈંચ વરસાદ પડતાં છલોછલ થવા સુધી જળરાશિ પહોંચી ગઈ હતી. તાલાલામાં પણ વધુ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં હળવા-ભારે ઝાપટાં જ પડ્યા હતાં.

ખાંભામાં સાંબેલાધારે છ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાંભાનાં તાતણીયા, લોસા, ગીદરડી, પીપળવા તથા ગીરનાં જંગલ વિસ્તારમાં ચાર કલાકમાં દેધનાધન છ ઈંચ વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને એક કાર પણ તણાઈ હતી. રાજુલામાં પણ બે ઈંચ વરસાદથી જળબંબાકાર થયો હતો. જ્યારે બાબરા, લીલીયા અને સાવરકુંડલામાં એક ઈંચ વરસાદથી લોકોને સંતોષ માનવો પડ્યો હતો.