ગુજરાતમાં યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના થયા RTPCR ટેસ્ટ, જાણો કેટલા નોંધાયા પોઝિટિવ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Dec 2020 10:18 PM (IST)
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતાના ભાગરૂપે ભારત સરકારે આ દેશોમાંથી આવતી તમામ ફ્લાઈટ 23 ડિસેમ્બરથી રદ કરી છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ : કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતાના ભાગરૂપે ભારત સરકારે આ દેશોમાંથી આવતી તમામ ફ્લાઈટ 23 ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં 9મી ડિસેમ્બર થી 23ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે. યૂકે અને યુરોપિયન દેશમાંથી આવેલા 1720 પ્રવાસીઓના RTPCR ટેસ્ટ કરાતા 11 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. નવા સ્ટ્રેનના લક્ષણોની તપાસ માટે પોઝિટીવ મુસાફરોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.