અમદાવાદ:  રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ

રાજ્ય સરકારના આંકડા અનુસાર  1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  અમદાવાદની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે. 

કોરોનાના સંક્રમણે ફરી લોકોને ચિંતામાં મૂકી દિધા છે.  રાજકોટમાં સોમવારે સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બિમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે. 

કોવિડ-19 ના બદલાયેલા લક્ષણો શું છે ?

હવે કોરોનાના લક્ષણો પહેલા જેવા નથી. આ લક્ષણો સામાન્ય શરદી જેવા છે, પરંતુ કેટલાક ચિહ્નો અલગ અને મહત્વપૂર્ણ છે:

હળવો તાવ અથવા બિલકુલ તાવ નહીં.

સુકી ઉધરસ  ચાલુ રહે છે.

અચાનક થાક અથવા શરીરમાં દુખાવો.

માથાનો દુખાવો અથવા સાઇનસમાં દબાણ.

ગળામાં દુખાવો જે લાંબા સમય સુધી ચાલુ રહે છે.

બંધ થયેલ અથવા વહેતું નાક (આ હવે સામાન્ય બની ગયું છે)

શ્વાસ લેવામાં તકલીફ.

ઉલટી, ઉબકા અથવા ઝાડા જેવી પેટની સમસ્યાઓ.

સ્વાદ અથવા ગંધમાં ફેરફાર. 

સાવધાની શા માટે જરૂરી છે ?

આમાંના ઘણા લક્ષણો ડેન્ગ્યુ, ફ્લૂ અથવા એલર્જી જેવા અન્ય રોગો જેવા હોઈ શકે છે. તેથી, મૂંઝવણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અથવા પહેલાથી જ રોગો ધરાવતા લોકો માટે પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય.

ભલે કોવિડ-19 આટલી ખતરનાક લહેરના રૂપમાં પાછો ફર્યો નથી, તેનો ફરીથી ફેલાવો દર્શાવે છે કે આપણે હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક પહેરવું, હાથ ધોવા, ભીડ ટાળવા, આ બધું હજુ પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે મહામારીના શરૂઆતના તબક્કામાં હતું.