પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરામાં ભેદી વાયરસથી ત્રણ બાળકોના મોતથી પ્રશાસન થયું દોડતું થયું હતું.  જિલ્લાના ત્રણ તાલુકાના ચાર બાળકોને તાવ અને ખેંચ આવતા તાત્કાલિક વડોદરા દાખલ કરાયા હતા જેમાંથી ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે હજુ એક બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બાળકના મોતનું કારણ જાણવા આરોગ્ય વિભાગે મૃતકના પરિવારના સેમ્પલ તપાસમાં મોકલ્યા છે. આ ઉપરાંત ICMRની પુંડુંચેરીની ટીમના સભ્યોએ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. આ પહેલા ગયા વર્ષે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસથી સાત બાળકોના મોત નિપજ્યા હતા. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ત્રણ જેટલા બાળકોના ભેદી વાયરસને કારણે મોત નીપજ્યા છે ત્યારે બાળકોના મોતનું સાચું કારણ જાણવા ICMR પુંડુંચેરી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોના અસરગ્રસ્ત વિસ્તારોમાં ધામા નાખી જરૂરી નમૂના લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસથી તાવ આવ્યા બાદ 3 બાળકોના મોતથી ખળભળાટ મચી ગયો હતો. જ્યારે એક બાળક વડોદરાની SSG હોસ્પિલ ખાતે સારવાર હેઠળ છે. તાવ, ખેંચ આવ્યા બાદ સારવાર દરમિયાન વડોદરા SSG હોસ્પિટલમાં બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. જોકે ચાંદીપુરમ સહીત 5 વાયરસના ટેસ્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના મોતનું સાચુ કારણ શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. હાલોલ, શહેરા તથા ગોધરા તાલુકામાં 4 બાળકોને તાવ સાથે ખેંચ આવતા વડોદરા SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે 4 બાળકોમાંથી 3 બાળકોના ભેદી વાયરસના કારણે મોત થયા છે. ગોધરા તાલુકાના ખજુરી શહેરા તાલુકાના ડોકવા અને હાલોલ તાલુકાના જાંબુડી ગામના બાળકોના ભેદી વાયરસથી મોત થયા છે જ્યારે ગોધરા તાલુકાના કરસાણા ગામના બાળકની હાલ વડોદરા એસએસસી ખાતે સારવાર ચાલી રહી છે. ગોધરા તાલુકાના મોર ડુંગરા વિસ્તારમાં 42 જેટલા કાચા મકાનોમાંથી માખીઓના નમૂના લેવામાં આવ્યા હતા.

બાળકોના શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણવા માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)ની નિષ્ણાત ટીમ પંચમહાલ આવી પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાયરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરશે. આ ટીમો સેમ્પલો લઈને તપાસ કરી રહી છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે વરસાદ બાદ ચાંદીપુરમ વાયરસથી 7 જેટલા બાળકોના મોત થયા હતા.