Devayat Khavad bail news: ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 'મોરે મોરો' હુમલા કેસમાં કલાકાર દેવાયત ખવડ અને અન્ય 6 આરોપીઓને મોટી રાહત મળી છે. કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલા 7 દિવસના રિમાન્ડને નામંજૂર કરીને તમામ આરોપીઓને ₹15,000 ના અંગત જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ આપ્યો છે. આ નિર્ણયથી પોલીસ કાર્યવાહીને મોટો ફટકો પડ્યો છે, જ્યારે આરોપી પક્ષે તેને કાયદાનો વિજય ગણાવ્યો છે.
તાલાલામાં નોંધાયેલા હુમલા કેસમાં દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ, વેરાવળ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ માંગણીને ફગાવી દીધી. કોર્ટે તમામ આરોપીઓને ₹15,000 ના જામીન બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, પોલીસ આ ચુકાદાને પડકારવા માટે આવતીકાલે હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં, તમામ આરોપીઓ જામીન પ્રક્રિયા માટે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર છે.
કોર્ટમાં એક કલાકથી વધુની દલીલો
આ કેસની સુનાવણી દરમિયાન, વેરાવળના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાની સમક્ષ સરકારી વકીલ અને આરોપીના વકીલ વચ્ચે તીવ્ર દલીલો થઈ. સરકારી વકીલે પોલીસ રિમાન્ડની માંગણી માટે જોરદાર દલીલો કરી હતી, જ્યારે આરોપીના વકીલ એ.જે. વિરરા (રાજકોટ) એ પોલીસની કાર્યવાહી સામે કડક વાંધો ઉઠાવ્યો. તેમણે દલીલ કરી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી નથી, જે ભારતીય બંધારણના આર્ટિકલ 22(b) નું ઉલ્લંઘન છે.
વકીલ વિરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓનો પણ હવાલો આપ્યો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ સંજોગોમાં રિમાન્ડ અરજી યોગ્ય નથી અને આરોપીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે રાત્રે 9:45 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે દેવાયત ખવડ સહિત તમામ 7 આરોપીઓના રિમાન્ડની માંગણી ફગાવી દીધી અને તેમને ₹15,000 ના બોન્ડ પર જામીન આપવાનો મૌખિક આદેશ આપ્યો. આ નિર્ણય બાદ તમામ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, જ્યાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.
પોલીસના સૂત્રો અનુસાર, કોર્ટના આ ચુકાદાથી તેઓ સંતુષ્ટ નથી. તેઓ આ જામીન અરજીને રદ કરવા માટે આવતીકાલે ઉપલી કોર્ટમાં અરજી દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે, આ કાયદાકીય લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભવિષ્યમાં તેમાં નવા વળાંકો આવી શકે છે.