નર્મદા: આજે જ્યારથી વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી અફવા સામે આવી ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે ભુપત ભાયાણીએ બીજેપીમાં જોડાવાની વાતને અફવા ગણાવી છે. હવે એવી પણ વાતો થવા લાગી છે કે બીજા કોઈ આપના ધારાસભ્ય પાર્ટી છોડશે કે નહીં. આ અંગે નર્મદા જિલ્લામાંથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સામે પ્રતિક્રિયા આપી છે.


 



ડેડીયાપડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા ટેલિફોનીક વાતચીતમાં કહ્યું કે,  હું આપમાં છું અને આપમાં જ રહીશ. પ્રજાએ વિશ્વાસ મુક્યો છે તે યથાવત રાખીશ. ચૈતર વસાવા હાલ કુળદેવી મા પાંડેરી માતાના મંદિરે પોતાના કાર્યકરો સાથે પહોંચ્યા હતા.  જ્યાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપમાં જોડવાનો નથી.


તેમણે વધુમાં કહ્યું કે, હું આપમાં જ રહીશ. મને પૈસાનો કે સત્તાનો મોહ નથી. મારા મતદારોએ મારા પર વિશ્વાસ મુક્યો એટલે હું એમની સાથે રહીશ. કેજરીવાલે પણ અમારામાં જે વિશ્વાસ મુક્યો અને અમને ટિકિટ આપી એટલે હું એમનો વિશ્વાસ નહિ તોડું.


આખરે AAPના ધારાસભ્ય ભુપત ભાયાણીએ કર્યો ખુલાસો


ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થવાની છે. જોકે આ બધાની વચ્ચે એક સમાચારના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદ આદમી પાર્ટીના ઉમેદવાર અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીમાં ભુપત ભાયાણીએ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા હર્ષદ રિબડીયાને 7 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.


હવે ભાજપમાં જોડાવાની અફવા અંગે ભુપત ભાયાણીએ એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. ભુપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે નરો વાં કુંજરવાં જેવો જવાબ આપ્યો છે. ભુપત ભાયાણીની ભાજપમાં જોડાવા અંગે 'જો અને તો 'વાત  સામે આવી છે. તેમણે કહ્યું કે, જો મારા વિસ્તારની જનતા કહેશે તો હું ભાજપમાં જોડાઈશ.





તમણે વધુમાં કહ્યું કે, હું મારા કામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેવું હું વિચારીશ. મારા સમર્થકો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મે લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું. ભાજપે મને કોઈ ઓફર કરી નથી. મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.