Gujarat : ગુજરાતના દેડિયાપાડામાં આજે  આમ આદમી પાર્ટી દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે દેડિયાપાડામાં એક જનસભાને સંબોધન કર્યું હતું. કેજરીવાલે જનસભા સંબોધતા  'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' ના નારા લગાવ્યા હતા.  અરવિંદ કેજરીવાલે કહ્યું, ચૈતર વસાવા બબ્બર શેર છે, જેલમાં મોકલી તેને ડરાવી નહીં શકો .

નર્મદા જિલ્લાના દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડ કાંડમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે. જેને લઈને આપ પાર્ટીમાં ભયંકર રોષ છે. આપના નેતાઓ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં આ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે.   આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ચૈતર વસાવાને સરકાર જાણી જોઈને હેરાન કરે છે. 

અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,  ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી.  હવે લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે, આ લડાઈ હવે અટકવાની નથી.

આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા. ચૈતર વસાવા જમીન, જંગલ, અધિકારો માટે લડી રહ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે જોરદાર નારા લગાવ્યા હતા કે, 'જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે.'

અરવિંદ કેજરીવાલે આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે આ સભા દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો.  ભાજપ પર આકરા પ્રહારો કરતા કેજરીવાલે કહ્યું હતું કે, 'ભાજપના નેતાઓ સત્તામાં આવીને ભ્રષ્ટાચાર કરીને તેમજ આદિવાસીઓના હક છીનવીને સંપત્તિ બનાવે છે.

ગઈકાલે મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજવામાં આવી હતી. આ મહાપંચાયતમાં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહ્યા હતા.