જામનગરઃ ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમં નરેન્દ્ર  મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજ રોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧:૧૫  કલાક આસપાસ પહોંચ્યું હતું. 


અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈ કાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. 


જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં  હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના  કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ ૧૫૦ જેટલા ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે. 


વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર સૌરભ પારઘી, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ  પાર્થ  કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.