કોરોના બાદ બાળકોમાં MIS-Cનો ખતરો વધી રહ્યો હોવાનું તબીબોનું આકંલન છે. હાલ અમદાવાદ સિવિલમાં આવી બિમારી ધરાવતા 10 બાળકો સારવાર લઈ રહ્યા છે. બીજી લહેરમાં બાળકોમાં કોરોના થવાના 78 કેસ સામે આવ્યા. હવે કોરોનાથી સાજા થયેલા બાળકોમાં MIS-C નામના રોગ થવાની શરૂઆત થઈ છે.


સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં દસ બાળકોને MIS-C થતા હાલ બાળકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જન્મ લેતા બાળકથી લઈને 18 વર્ષ સુધીના બાળકના MIS-C રોગ થતો હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું આકલન છે. કોરોના અને મયુકરમાઇકોસીસ જેટલો આ રોગ જીવલેણ ન હોવાનું તબીબોનો દાવો છે.


એક વર્ષથી માંડીને 18 વર્ષના બાળકને આ રોગ થઇ શકે છે. જે બાળકની ઇમ્યુનિટી વધુ હોય તેને આ રોગ અસર કરતો નથી. ખાસ કરીને  મેદસ્વિતા સહિત કો- મોર્બિટ બાળકોને વધુ જોખમ રહેલુ છે. કોરોના મટયા બાદ બાળકો તાવ આવે,શરીર પર લાલ ચકામાં પડે , નબળાઇ આવે, ઝાડા-ઉલ્ટી થાય.પેટમાં દુખાવો થાય,શ્વાસ લેવામાં મુશ્કેલી થાય.આ બધાય MIS-C  રોગના લક્ષણો છે. કોરોના બાદ જો બાળકને આવા લક્ષણો જોવા મળે તો માતાપિતાએ તુરત જ બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.


હાલમાં જે 10 બાળકો MIS-Cની સારવાર લઈ રહ્યા છે તેમની હાલત પણ સ્થિર છે. કોરોનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાના કારણે બાળકો ઉપર આ રોગનો ખતરો મંડરાય છે. ઘરમાં નાના બાળકો જો બીજી લહેરમાં સંક્રમિત થયા હોય તો તેમના માતા પિતાએ આ રોગના લક્ષણ જણાતા તુરંત ચેતી જવાની સલાહ તબીબો આપી રહ્યા છે.


મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) કોરોના ન થયો હોય તેવા બાળકને પણ થઇ શકે છે.વાલીઓએ સચેત થવાની જરૂર છેકે, શાળાએ જતાં બાળકોને માસ્ક જરૂર પહેરાવે અને કાળજી રાખે.


મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C)ના લક્ષણો



  • તાવ આવે

  • શરીર પર લાલ ચકામાં પડે

  • નબળાઇ આવે

  • ઝાડા-ઉલ્ટી થાય

  • પેટમાં દુખાવો થાય

  • શ્વાસ લેવામાં મુશ્કેલી થાય