Ambalal Patel Padmashree recommendation: ગુજરાતમાં જ્યારે પણ વરસાદ કે વાવાઝોડાની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ 'અંબાલાલ પટેલ'નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Continues below advertisement

મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આંજણા યુવક મંડળના પ્રમુખ રાજુ ચૌધરીએ આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખીને રજૂઆત કરી છે. વડાપ્રધાનને લખેલા આ પત્રમાં અંબાલાલ પટેલના યોગદાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

Continues below advertisement

રાજુ ચૌધરીએ જણાવ્યું છે કે, અંબાલાલ પટેલ માત્ર એક હવામાન વિશ્લેષક જ નથી, પરંતુ તેઓ પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓનો અદભુત સમન્વય છે. આજના અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં ક્યારેક વૈજ્ઞાનિક સાધનોની આગાહી ખોટી પડી શકે છે, પરંતુ તેમનું આકલન હંમેશા ઉત્કૃષ્ટ સાબિત થાય છે.

તેમનું જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્રો (જેમ કે રોહિણી અને આદ્રા) અને દરિયાઈ સિસ્ટમ આધારિત પરંપરાગત જ્ઞાન હંમેશા સચોટ સાબિત થાય છે. તેમની આ જ સચોટતાના કારણે રાજ્યના લાખો ખેડૂતો વાવણીના આયોજન માટે તેમના પર અતૂટ વિશ્વાસ ધરાવે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની કારકિર્દી પર પ્રકાશ પાડતા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી B.Sc. (એગ્રીકલ્ચર) નો અભ્યાસ કર્યો છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે કૃષિ ક્ષેત્રે જ સરકારી સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 1972 માં તેઓ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. નોકરી દરમિયાન પણ ખેડૂતોના કલ્યાણ માટે અને પ્રકૃતિના બદલાતા મિજાજને સમજવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

ત્યારબાદ વર્ષ 1980 માં તેમણે પોતાની પહેલી સત્તાવાર હવામાન આગાહી કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી, એટલે કે છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી તેઓ વિનામૂલ્યે અને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે.

આજે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગુજરાતનું આખું મીડિયા જગત પણ હવામાનના સચોટ અંદાજ માટે તેમની જ સલાહ લે છે. મુશ્કેલ સમયમાં તેમની એક આગાહી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં બચાવે છે.

પત્રના અંતમાં રાજુ ચૌધરીએ વડાપ્રધાનને નમ્ર વિનંતી કરી છે કે, ખેડૂતોના હિતમાં છેલ્લા 4.5 દાયકાથી અવિરત સેવા આપતા આ વડીલની સેવાની યોગ્ય નોંધ લેવામાં આવે. સમગ્ર ગુજરાત વતી તેમને 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવે તેવી લોકલાગણી છે.