અમદાવાદ: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25 થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.
આ તારીખે આવશે વાવાઝોડું
24થી 28મી મે વચ્ચે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થશે. આ કારણે ભારે વરસાદ વરસશે. 24થી 28 વચ્ચે વાવાઝોડુ ઉદ્ભવશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 24મેથી 28 મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે.
21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા
અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 5-6 જૂન રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે.
7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની માહોલ રહેશે
આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની માહોલ રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. 21 થી 24 મે સુધી કેટલાક જિલ્લામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. .રાજકોટ, અમરેલી , ભાવનગર , ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મંગળવારને 20મેના દિવસે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું વરસી શકે છે. બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.