અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશનને સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા સ્થાનિક નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રથમ સોમવારે ચિતલ ખાતે વંદે ભારત એક્સપ્રેસનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી ટ્રેનને ચિતલથી પ્રસ્થાન કરાવ્યું હતું.
ચિતલને મળ્યું વંદે ભારતનું સ્ટોપેજ
અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન ખાતે હવે સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ રહેશે. સ્ટોપેજ મળતા અમરેલી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીની સુવિધાનો લાભ મળશે.
માત્ર પાંચ દિવસમાં રજૂઆતને મળી મંજૂરી
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી–સોમનાથ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલીને બોટાદ અને અમરેલી જિલ્લાને લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપેજ કયા સ્થળે આપવામાં આવે તે અંગે ચર્ચા બાદ ચિતલ ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રજૂઆતના માત્ર પાંચ દિવસમાં કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા ચિતલને સ્ટોપેજ આપવામાં આવ્યું.
ચિતલના વિકાસ કાર્યોનો ઉલ્લેખ
રાજ્યમંત્રી વેકરીયાએ જણાવ્યું હતું કે ચિતલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ચિતલમાં સરકારની મંજૂરીથી બે પૂલ તૈયાર કરવામાં આવ્યા છે. ચિતલનો સનેડો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. સનેડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 75 હજાર સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અમરેલીના શેડુભાર ખાતે નવી GIDCની મંજૂરી સહિતના વિવિધ વિકાસકાર્યો થકી અમરેલી જિલ્લો ‘વિકસિત અમરેલી’ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
વેરાવળ–હરિદ્વાર ટ્રેન માટે પણ રજૂઆત
સાંસદ ભરતભાઈ સુતરિયાએ ચિતલને વંદે ભારતનું સ્ટોપેજ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વેરાવળ–હરિદ્વાર ટ્રેનને વડિયા, ચિતલ અને લાઠી ખાતે સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી–ધારી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ માટે પણ કેન્દ્ર સરકાર સમક્ષ સકારાત્મક ચર્ચા થઈ હોવાનું સાંસદે જણાવ્યું હતું.
ચિતલ ખાતે આ રહેશે વંદે ભારતનું સમયપત્રક
સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું ચિતલ રેલવે સ્ટેશન ખાતે બંને દિશામાં આગમનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
- વેરાવળ તરફ જવા માટે: સવારે 9:43 કલાકે ચિતલ ખાતે આગમન
- સાબરમતી તરફ જવા માટે : સાંજે 6:03 કલાકે ચિતલ ખાતે આગમન
ચિતલ ખાતે સ્ટોપેજ મળવાથી અમરેલી તથા આસપાસના વિસ્તારોના લોકોને વંદે ભારત એક્સપ્રેસ મારફતે ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીનો લાભ મળશે.
સ્થાનિકોમાં જોવા મળ્યો ઉત્સાહ
ચિતલ રેલવે સ્ટેશનને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળ્યા બાદ સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા સ્ટોપેજથી અમરેલી જિલ્લાના પ્રવાસન, વેપાર અને રોજિંદી મુસાફરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
