Amreli Rain: રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમરેલીના બગસરા શહેરમાં વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. બગસરા શહેર તેમજ લૂંઘીયા સહિત આસપાસમાં ધોધમાર વરસાદ પડતા
શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જગતના તાતની ચિંતાઓના ઘેરાયેલા વાદળો વરસાદરૂપી વરસ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


વરસાદના પગલે બગસરા તાલુકાના મુંજીયાસર ગામ પાસે સાંતલી નદી ઉપર આવેલો મુંજીયાસર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈ બગસરા તાલુકાના જામકા, સનાળિયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા સહિત પાંચ ગામને એલર્ટ કરાયા છે, જ્યારે અમરેલી તાલુકાના બાબાપુર, મોટા માંડવડા, ટીમલા, ગાવડકા અને પાણીયા સહિત પાંચ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્રની સૂચના છે.




રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર 'ઝીરો હ્યુમન લાઇફ લોસ'ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે. રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.





તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.