AHMEDABAD : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બદલ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્લી, પંજાબ અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લી બાદ પંજાબ પ્રથમ એવું પૂર્ણ રાજ્ય છ જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન આવનારા બે ત્રણ દિવસમાં મુખ્યમંત્રીપદના શપથ લેશે. પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. 


ગુજરાતમાં AAP મજબૂત કરવા કવાયત 
દેશમાં હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ટ્રેન્ડમાં પંજાબમાં AAP આગળ અને ઉત્તરપ્રદેશ,  ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં ભાજપ આગળ છે. પંજાબમાં AAPએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા તરત જ કવાયત હાથ ધરશે. 


ગુજરાતમાં કેજરીવાલ અને ભગવંત માન કરશે પ્રવાસ 
પંજાબમાં આવનારા બે કે ત્રણ દિવસમાં જ ભગવંત માન મુખ્યમંત્રી પદના શપથ લેશે. પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ફોકસ ગુજરાત પર રહેશે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીણે લઈને આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. અને આ માટે આપ નેતા ઇસુદાન ગઢવીએ એબીપી ન્યૂઝ પર પોતાની વાતચીત દરમિયાન જાહેરાત કરી છે કે આગામી 15 દિવસ બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના થનારા મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતનો પ્રવાસ કરશે.