ગીર સોમનાથ: હાલમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેસરથી લઈને ઘણા પ્રકારની કેરીઓ આવવા લાગી છે ત્યારે ગીર સોમનાથમાંથી સામે આવેલા એક સમાચારે કુતુહલ જગાવ્યું છે. અહીં એક જ ડાળ પર 52 કેરી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનિલ ફાર્મના માલિક સમસુદીનભાઈના આંબાના ફાર્મમા કેરીનો જુમખો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોરબંદરના ભાણવડમાં સમસુદિનભાઈનું  ફાર્મ  આવેલું છે ત્યાં એક આંબાની એક જ ડાળીમા 52 કેરી એક સાથે જોવા મળતા સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.  મોટા ભાગે આવી ઘટના ઓછી બનતી હોય છે. એક જ ડાળી પર વધુમાં વધુ 20 કેરી હોય શકે પરંતુ આ ડાળીમાં એક સાથે 52 કેરીઓ જોવા મળી છે જે આશ્ચર્યની વાત છે.


 



રાજ્યની જનતા માટે આવ્યા  સારા સમાચાર, ચોમાસાને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
ગાંધીનગરઃ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, આગામી ચોમાસુ સમયસર રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચોમાસુ સમયસર રહેવાની આગાહી કરી છે. ચોમાસુ સમયસર તો રહેશે જ સાથે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અને 99 ટકા કે તેથી વધુ વરસવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.


હવામાન વિભાગના મતે આંદામાનમાં સર્જાનારૂં ડિપ્રેશન આ વર્ષે ચોમાસુ સમયસર લાવી શકે છે. જૂન મહિનામાં કેરળના દરિયાકાંઠેથી ચોમાસુ શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી દેશમાં વરસાદ લાવશે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસુ બેસી જતું હોય છે. હવામાન વિભાગના વાવાઝોડાનું મોનિટરીંગ કરતા આનંદકુમાર દાસનો દાવો છે કે ભારતમાં વરસાદી ખેતી થાય છે તેથી સારો પાક લેવા માટે અને સારી ખેતી માટે ચોમાસું સામાન્ય રહે તે મહત્વનું છે. આ વખતે ઈંટરટ્રોપ્લિ કન્વર્ઝન ઝોન જે ભૂમધ્ય રેખા નજીક છે. ત્યાં વરસાદને ખેંચી લાવતા વાદળો સર્જાય છે અને ઉષ્ણકટિબંધ વિસ્તારમાં તે ભીની કે સૂકી મોસમ સર્જે છે તે સિસ્ટમ ઘણી સક્રિય છે. આ બાબત નિર્દેશ કરે છે કે દેશમાં ચોમાસુ સમયસર શરૂ થઈ શકે છે. જોકે પાંચ દિવસ ચોમાસુ વહેલુ કે મોડું રહેવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.


રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળો છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. જો કે રવિવારથી છ દિવસ માટે તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઈ શકે છે. અને તાપમાન 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા છે.


ગુરૂવારે રાજ્યના અન્ય શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટમાં 41.3 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો. ગાંધીનગર અને અમરેલીમાં ગરમીનો પારો 40.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને નીચે નોંધાયો હતો.