Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
ભાવનગર રેન્જ આઈજી કચેરીએ હલચલ તેજ: બગદાણાના પૂર્વ સરપંચ પર હુમલાના કેસમાં SIT એ તપાસ વેગવંતી બનાવી; માયાભાઈ આહીરના વીડિયો વિવાદ બાદ થયેલા હુમલામાં જયરાજ આહીરની સંડોવણી અંગે પુરાવા આપવાનો દાવો.

Navneet Baldhiya Attack Case: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ચલાવવામાં આવી રહી છે. સોમવારે બગદાણા પોલીસ સ્ટેશનના PI અને SIT ની ટીમ ફરિયાદી નવનીત બાલધિયાને લઈને ભાવનગર રેન્જ આઈજી (Range IG) કચેરી ખાતે પહોંચી હતી. અહીં SIT સમક્ષ નવનીત બાલધિયાનું વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચેરીએ પહોંચતા જ નવનીત બાલધિયાએ મીડિયા સમક્ષ મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે, "મારી પાસે જયરાજ આહીર (Jayraj Ahir) વિરુદ્ધ આ ગુનામાં સંડોવણી હોવાના તમામ સજ્જડ પુરાવાઓ (Evidence) છે, જે હું આજે SIT સમક્ષ રજૂ કરવાનો છું." ઉલ્લેખનીય છે કે આ કેસમાં શરૂઆતથી જ જયરાજ આહીર સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે અને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં એક ભજનનો કાર્યક્રમ અને ત્યાર બાદ વાયરલ થયેલો એક વીડિયો રહેલો છે. ગત 24 December ના રોજ મુંબઈના કાંદિવલીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) નો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતી વખતે યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' (Managing Trustee) શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે." સત્ય સમજાયા બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો એક વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો, જે પાછળથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થયો હતો.
નવનીતભાઈના આક્ષેપ મુજબ, માયાભાઈનો આ ખુલાસા અને માફીવાળો વીડિયો વાયરલ થયા બાદ જ તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી હતી. વિવાદ વકરતા તેમને મળવાના બહાને ફોન કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ્યારે તેઓ બહાર હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો (Deadly Attack) કરવામાં આવ્યો હતો. એક વર્ના કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નવનીતભાઈનું ટ્રેક્ટર અટકાવી, ચાવી આંચકી લીધી હતી અને "તું રેકી કેમ કરે છે?" તેમ કહીને ધોકા અને પાઈપ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બીજી સ્વિફ્ટ કારમાં અન્ય 4 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં નવનીતભાઈને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર (Fractures) થયા હતા, જ્યારે હુમલાખોરોએ તેમના 2 મોબાઈલ ફોન અને બાઈકને પણ તોડી નાખ્યું હતું. હવે SIT ની તપાસમાં જયરાજ આહીર વિરુદ્ધ શું પુરાવા રજૂ થાય છે તેના પર સૌની નજર છે.






















