ભાવનગરઃ પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ શીતળા માતા મંદિર પાસે એક્ટિવા સાથે ત્રણ લોકો પાણીમાં તણાયા હતા. આ દુર્ઘટનામાં મહિલાનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. નગરપાલિકા ફાયર ટીમ દ્વારા 18 વર્ષીય યુવતી અને 10 વર્ષીય બાળકની લાશ બહાર કાઢવામાં આવી છે. 


આ અંગે વિગતો એવી છે કે, એક્ટિવા પર માતા દીકરી જાનકી જેઠવા(ઉં.વ.18) અને વિરાટ જેઠવા (ઉં.વ.10) સાથે પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવેમાં ત્રણેય એક્ટિવા સાથે તણાયા હતા. આ દુર્ઘટનામાં મહિલાને પહેલા જ બચાવી લેવામાં આવી હતી. 


આ પછી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા બાળક અને પછી યુવતીની લાશ મળી આવી હતી. આમ, આ દુર્ઘટનામાં બેના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બન્ને ભાઈ બહેનની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. બેના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


Junagadh : 1 વર્ષીય પુત્ર-માતાનું શંકાસ્પદ મોત, પતિએ શું કર્યો ખુલાસો?


જૂનાગઢઃ કેશોદના સાંગરસોલા ગામે માતા -પુત્રનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. પતિ બહારગામ જતાં માતાએ એક વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંનેને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં, જયાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. ઘટનાની જાણ થતાં મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, રેખાબેન જગદિશભાઈ સોનારા(ઉં.વ.30) અને એક વર્ષીય પુત્ર ભવ્યનું શંકાસ્પદ મોત થયું છે. પત્ની રેખાબેનના કહેવાથી પતિ જગદિશભાઇ સોનારા બહારગામ લૌકિક ક્રિયા માટે ગયા હતાં. ત્યાંથી તેઓ પરત ફરતાં પત્ની ઘરના લાકડાંના થાંભલામાં લટકતી હતી, જ્યારે પુત્ર ભવ્યનું પારણામાં મોત થયું હતું. 


પોલીસને બંનેના મોત શંકાસ્પદ જતાં તેમને કેશોદ પેનલ પીએમ માટે ખસેડાયા હતા. અહીં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસ પૂછપરછમાં પતિએ પત્નીને માનસિક તકલીફ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી વધુ વિગતો સામે આવી શકે છે.