Air India plane crash:12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 - 8  ડ્રીમલાઇનર વિમાન અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક તપાસ અહેવાલમાં એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયાએ છેલ્લા છ વર્ષમાં બે વાર આ વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) ને બદલ્યું હતું. પહેલી વાર 2019  અને બીજી વાર 2023માં.

શું છેThrottle Control Module?

TCM એક મહત્વપૂર્ણ ફ્લાઇટ સિસ્ટમ છે, જેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનો પણ સમાવેશ થાય છે. આ એ જ સ્વીચો છે જે હવે અકસ્માત તપાસનું કેન્દ્ર બની છે, કારણ કે 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ ગઇ હતી.  જેના કારણે અકસ્માત થયો હતો.

 બોઇંગની સૂચના પર આ ફેરફાર કરવામાં આવ્યો હતો

 સૂત્રોના જણાવ્યા અનુસાર, TCM બદલવાનો નિર્ણય 2019 માં બોઇંગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ પછી લેવામાં આવ્યો હતો. આ સૂચનાને અનુસરીને એર ઇન્ડિયાએ 2019 અને 2023 માં ડ્રીમલાઇનર એરક્રાફ્ટ VT-ANB ના TCM માં ફેરફાર કર્યો હતો.

 AAIB રિપોર્ટ શું કહે છે?

 AAIB ના પ્રારંભિક અહેવાલમાં ઉલ્લેખ છે કે, TCM ને બે વાર બદલવામાં આવ્યો હતો, પરંતુ તેનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની કામગીરી સાથે કોઈ સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી. જો કે, તપાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ જવું એ તપાસનો એક મહત્વપૂર્ણ વિષય છે.

 એર ઇન્ડિયા અકસ્માતની તપાસ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા

એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPAI) એ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે તપાસ પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સંગઠને કહ્યું છે કે તપાસનો ટ્રેન્ડ શરૂઆતથી જ પાઇલટની ભૂલ તરફ ઝુકાવ ધરાવતો જણાય છે, જે તપાસને પક્ષપાતી બનાવી શકે છે.ALPAI એ નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસની માંગ કરી અને કહ્યું કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.