Biporjoy Updates: ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોમાં 'બિપરજૉય' વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ પર છે, ગુજરાતના દરિયામાં 'બિપરજૉય' વાવાઝોડાના કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્રના દરિયામાં અને ખાસ કરીને પોરબંદર નજીકની દરિયાઇ સીમામાં 'બિપરજૉય' વાવાઝોડાના કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આજે સવારથી વાવાઝોડાની અસર ગઇકાલ કરતાં વધુ જોવા મળી રહી છે, અને ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે, બિપરજૉયના પહલે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજજ થઇ ગયુ છે, વાવાઝોડાના થતા નુકશાન માલહાનિ અને જાનહાનિ રોકવા માટે પહેલાથી જ અહીં વડોદરાથી એનડીઆરએફની ટીમને પોરબંદરમાં તૈનાત કરી દેવામાં આવી છે. 


ક્યાં વરસાદનો અનુમાન
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ  જોવા મળશે. વાવઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકિનારા નજીક આવી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે.  વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા.  તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.


કેરળના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવી છે.  


માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.