Ahmedabad overbridge renovation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રૂ. ૨૨૦ કરોડ ફાળવ્યા છે. આ સાથે, રાધનપુર-ભિલોટ માર્ગ પર ક્રોસિંગ પર બ્રિજ બનાવવા માટે પણ રૂ. ૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રેલ્વે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ રૂ. ૪૪૦ કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજનું કન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના ૫૦ ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ રૂ. ૨૨૦ કરોડ ફાળવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના વિઝનને અનુરૂપ, અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટમાં વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારના ૫૦ ટકા શેર તરીકે રૂ. ૨૨૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારવા પર ભાર મૂક્યો છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ ૧૦૮ વર્ષ પહેલાં ૧૯૧૫માં અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજનું ૮૩ વર્ષ અગાઉ ૧૯૪૦માં થયું હતું. હાલમાં આ કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ (મનુ ભાઈ પરમાર બ્રિજ) બંને તરફ ફૂટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે. આ પુલોની ઉંમર, સલામતી અને વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન બનાવવાનું કામ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પરના હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીએ રૂ. ૫૨.૮૩ કરોડ ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે. આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી અમદાવાદ અને રાધનપુર શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય, શક્તિ અને ઇંધણની બચત થશે. કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ. ૧૦૬.૬૭ કરોડ, સારંગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ. ૧૧૩.૨૫ કરોડ અને રાધનપુર બ્રિજ માટે રૂ. ૫૨.૮૩ કરોડ મળી કુલ રૂ. ૨૭૨.૭૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો...
શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા