Dhandhuka murder news: અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 1 યુવાનની હત્યા બાદ 2 અલગ-અલગ ધર્મના લોકો સામસામે આવી જતાં શહેરમાં ભારે તંગદિલી સર્જાઈ છે. હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવીને ધંધુકામાં અનેક જગ્યાએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. જોકે, બબાલ વકરે તે પહેલાં જ જિલ્લા પોલીસે સતર્કતા દાખવીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે. અમદાવાદ એસપી અને પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું છે કે હત્યાનો આરોપી પકડાઈ ગયો છે, આ બનાવ પાછળ અંગત કારણો જવાબદાર છે અને હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે પોલીસના કાબૂમાં છે.

ટોળાઓએ બાઈક અને દુકાનો સળગાવી

મળતી માહિતી મુજબ, 1 યુવાનની હત્યાના સમાચાર શહેરમાં ફેલાતા જ ધંધુકામાં 2 સમાજ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. પાળીયાદ રોડ પર આવેલા ધંધુકા સર્કલ અને તેની આસપાસના વિસ્તારોમાં એકઠા થયેલા ટોળાઓએ ભારે તોડફોડ મચાવી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર પાર્ક કરેલા અનેક બાઈક અને આસપાસની દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ આગચંપી અને બબાલના કારણે આખા ધંધુકા સર્કલ વિસ્તારમાં કર્ફ્યૂ જેવો સન્નાટો અને ડરનો માહોલ છવાઈ ગયો હતો.

Continues below advertisement
Continues below advertisement

જિલ્લાના તમામ DySP ધંધુકામાં તૈનાત

આગચંપી અને તોડફોડની ઘટનાઓ બાદ જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદ જિલ્લાના તમામ DySP સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ધંધુકા રવાના કરવામાં આવ્યો હતો. પોલીસે ધંધુકા સર્કલ વિસ્તારમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રસ્તા પર એકઠા થયેલા ટોળાઓને પોલીસે તાત્કાલિક અસરથી વિખેરી નાખ્યા છે જેથી વધુ કોઈ નુકસાન ન થાય.

એસપી અને નેતાઓની શાંતિ માટે અપીલ

ન્યૂઝ ચેનલ 'એબીપી અસ્મિતા' સાથેની ખાસ વાતચીતમાં અમદાવાદના એસપીએ સ્પષ્ટતા કરી છે કે હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, "ટોળાઓને વિખેરી નાખવામાં આવ્યા છે અને અત્યારે ધંધુકામાં શાંતિનો માહોલ છે. સ્થિતિ અમારા કંટ્રોલમાં છે."

આ તંગ માહોલ વચ્ચે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, "આ હત્યા કોઈ સાંપ્રદાયિક નહીં પરંતુ વ્યક્તિગત કારણોસર થઈ છે અને પોલીસે સ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો છે." આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પણ લોકોને અપીલ કરતા કહ્યું છે કે 1 યુવાનની હત્યા બાદ આ બબાલ થઈ છે, પરંતુ સૌએ સમજદારી દાખવીને શાંતિ જાળવવી જોઈએ.

પોલીસ પ્રશાસન, સ્થાનિક નેતાઓ અને 'એબીપી અસ્મિતા' દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહીને શહેરમાં ભાઈચારો અને શાંતિ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.