ચોમાસા પહેલાં ગુજરાતના રસ્તાઓ થશે ચકાચક! મુખ્યમંત્રીએ ૧૪૯ નગરપાલિકાઓ માટે ૧૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવી
ભૂપેન્દ્ર પટેલ સરકારનો જનહિત અભિગમ: સારા અને સલામત માર્ગો માટે આગોતરું આયોજન, વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવાશે.

Bhupendra Patel road repair grant: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાઓની સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ જનહિત નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓને સંભવિત નુકસાન થાય તો તેના રિપેરિંગ અને રિસરફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ કરી શકાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યની ૧૪૯ નગરપાલિકાઓને કુલ ૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
'મુખ્યમંત્રી શહેરી સડક યોજના' હેઠળ ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત 'મુખ્યમંત્રી શહેરી સડક યોજના' માંથી આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પરિણામે શહેરી વિસ્તારોના રસ્તાઓને થતું નુકસાન ઝડપથી સુધારી શકાય, જેથી નગરોમાં વધુ માર્ગ સલામતી જળવાઈ રહે અને નાગરિકોને સારા રસ્તાઓની સુવિધા મળી રહે.
કેટલાક નગરોમાં રસ્તાઓની પ્રવર્તમાન સ્થિતિ ગટર, પીવાના પાણીની પાઈપલાઈન સહિતના કામો માટે થયેલા ખોદકામના કારણે પણ સારી હોતી નથી. આવા નગરોમાં ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.
નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી
મુખ્યમંત્રીએ રોડ રિપેરિંગ રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે, જે આ મુજબ છે:
- 'અ' વર્ગની ૩૭ નગરપાલિકાઓ: પ્રત્યેકને ૧ કરોડ રૂપિયા પ્રમાણે કુલ ૩૭ કરોડ રૂપિયા.
- 'બ' વર્ગની ૩૪ નગરપાલિકાઓ: દરેકને ૮૦ લાખ રૂપિયા મુજબ કુલ ૨૭.૨૦ કરોડ રૂપિયા.
- 'ક' વર્ગની ૬૧ નગરપાલિકાઓ: નગરપાલિકા દીઠ ૬૦ લાખ રૂપિયા પ્રમાણે કુલ ૩૬.૬૦ કરોડ રૂપિયા.
- 'ડ' વર્ગની ૧૭ નગરપાલિકાઓ: પ્રતિ નગરપાલિકા ૪૦ લાખ રૂપિયા પ્રમાણે કુલ ૬.૮૦ કરોડ રૂપિયા.
આમ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને સમગ્રતયા ૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે કે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય, તો આ ફાળવેલી રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે વધારાના નાણાં પણ ફાળવવામાં આવશે. આ નિર્ણય શહેરીજનો માટે સુખાકારી વધારવામાં અને ચોમાસામાં માર્ગોની સમસ્યા નિવારવામાં મદદરૂપ થશે.























