ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિવાસી વિસ્તારોના ખેડૂતો અને સ્થાનિકો માટે એક બહુ જ મોટા અને ખુશખબર સમાન સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાને અધધ... 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. આ કામોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ અને પાણીની સુવિધાઓનો સમાવેશ થાય છે. સૌથી મોટી ભેટ પાનમ જળાશય આધારિત નવી ઉદવહન (લિફ્ટ) સિંચાઈ યોજના છે, જેનાથી 79 ગામોના 130 તળાવો પાણીથી ભરાશે અને 86,000 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. મુખ્યમંત્રીએ વિકાસની આ ગતિને વધારતા દાહોદને 'આકાંક્ષી' માંથી 'પ્રેરણાદાયક' જિલ્લો બનાવવાનું આહ્વાન પણ કર્યું હતું.
બે જિલ્લાઓ પર વિકાસનો વરસાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વંચિતોને વરિયતા' ના મંત્રને આગળ વધારતા રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રવાસ દરમિયાન:
પંચમહાલ જિલ્લામાં: ₹732 કરોડના ખર્ચે તૈયાર થયેલા 112 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
દાહોદ જિલ્લામાં: ₹367 કરોડના ખર્ચે 1200 થી વધુ નાના-મોટા વિકાસ કાર્યોની ભેટ આપી.
પાનમ સિંચાઈ યોજના: ખેડૂતો માટે આશીર્વાદ
આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત પાનમ જળાશય આધારિત સિંચાઈ યોજના હતી.
અંદાજે ₹406 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પાઇપલાઇન યોજનાથી પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના 79 ગામોને સીધો ફાયદો થશે.
આ 79 ગામોના 130 જેટલા તળાવોને પાનમ ડેમના પાણીથી ભરવામાં આવશે.
આ માટે 236 ફૂટની ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને 206 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે ખેતરો સુધી પહોંચાડવામાં આવશે.
બજેટમાં આદિવાસી વિસ્તારો માટે ખાસ જોગવાઈઓ
મુખ્યમંત્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા જણાવ્યું હતું કે, સરકારે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આખા આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં ₹3160 કરોડના ખર્ચે 11 સિંચાઈ યોજનાઓ પૂરી કરી છે, જેનાથી 2,23,000 એકર જમીનને પાણી મળ્યું છે.
આ ઉપરાંત, આ વર્ષના 4 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક બજેટમાં પણ આદિવાસી વિસ્તારોની સિંચાઈ પર ખાસ ભાર મુકાયો છે. સરકારે બજેટમાં લિફ્ટ ઈરિગેશન માટે ₹485 કરોડની અલગથી ફાળવણી કરી છે. નર્મદા આધારિત સિંચાઈ યોજનાથી છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાઓની 51,480 હેક્ટર જમીનને પાણી પૂરું પાડવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ બનશે 'ઇન્સ્પિરેશનલ' જિલ્લો
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ સ્થાનિકો અને તંત્રને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, વડાપ્રધાને દાહોદને 'એસ્પિરેશનલ' (આકાંક્ષી) જિલ્લાઓની યાદીમાં મૂક્યો છે. હવે આપણે સૌએ સાથે મળીને દાહોદને એટલો વિકસિત કરવો છે કે તે આખા ગુજરાત માટે એક 'ઇન્સ્પિરેશનલ' (પ્રેરણાદાયક) જિલ્લો બની રહે.
આ ભવ્ય કાર્યક્રમમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ કટારા, પી. સી. બરંડા તેમજ સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આદિજાતિ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
