Shala Praveshotsav 2025: "શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ" ના ઉમદા ધ્યેય સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દિવડા પીએમ સ્કૂલ ખાતેથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના 23માં ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરતું અભિયાન:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ 9 માં બાળકોનું નામાંકન કરાવી તેમને શૈક્ષણિક કીટ ભેટ આપી શાળામાં ભાવભીનો આવકાર આપ્યો હતો. તેમણે પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર-પરિવારની વિગતો પણ મેળવી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003 થી શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ 2003 માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેટ 35% જેટલો હતો તે ઘટાડીને 0.85% એટલે કે 1% થી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.
શિક્ષણની ગુણવત્તા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પર ભાર:
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે.
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 21મી સદીની શિક્ષણ ક્ષેત્રની મોટી ક્રાંતિ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003 થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવતા ગુજરાતમાં બાળકોનું 100% નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આ અવસરે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર સુ અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. વિદ્યારંભના આ ઉત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, અગ્રણી દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ" ના મંત્રને ચરિતાર્થ કરીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ સૌને હાકલ કરી હતી.