Gujarat Assembly Election 2022: સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિદ્ધપુરના મદદનીશ નોડલ ઓફિસર દ્વારા ચંદનજી ઠાકોર પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગઈકાલે ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ પણ સાંજે 7 વાગ્યે સોશિયલ મીડિયા પર મતદાન માંગીને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. આદર્શ આચારસંહિતા તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણના જાહેરનામાનો ભંગ કરાતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પર ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી થઇ શકે છે.


બુટલેગરો બુથ કેપ્ચરિંગ કરે તેવી આશંકા


સોમવારે અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના લેટરની ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું, અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં અસામાજીક તત્વો, બુટલેગરોને ખુલ્લો દોર અપાયો છે. એટલુ જ નહી, ક્રાઈમબ્રાંચના અધિકારીઓ પણ ભાજપને મદદ કરવા મતદારોને ધમકી આપી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.


દરિયાપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ખુદ ક્રાઈમબ્રાંચના એસપી ભરત પટેલ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ મતદારોને કૉંગ્રેસને મત ન આપવા ડરાવી-ધમકાવી રહ્યા છે. આ તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ચંદ્રેશ વ્યાસ, કિશોર મારવાડી, લાલા ધોબી, સંજય ઉર્ફે ચીકુ, જીમી પટેલ, નરેશ પટેલ, વાકી બાબુલાલ જૈન, બંદિશ ખત્રી, મુકેશ ચૌહાણ અને નરેશ ઝુલાવાળો આ બધાય બુટલેગરો અને અસામાજીક તત્વો મતદારોને ડરાવી ધમકાવી રહ્યા છે.


ગ્યાસુદ્દીને લેટરમાં એમ પણ લખ્યું છે કે ,ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા તથા જુગારના અડ્ડા ચલાવતાં ગોવિંદ પટેલ મામો- મનપસંદ જીમખાનામાં રાત્રે જુગાર ચલાવી રહ્યા છે તથા વીકી બાબુલાલ જૈન વાડીગામ ખાતે ખુલ્લેઆમ સટ્ટાનો અડ્ડો ચલાવે છે. કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળેલી મહિલાઓને પણ ધાકધમકી આપવાની ફરિયાદો મને મળી હતી. અનેક ફરિયાદો કરવા છતા આજદિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ભાજપના ઉમેદવારની જાહેરાત તઈ ત્યારથી જ ઘનશ્યામ ઢોલીયો મતદાતાઓને ફોન પર ડરાવી ધમકાવી રહ્યો છે. તેની ધાક ધમકીથી બોગસ મતદાન કરાવવાની યોજના બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની મીટિંગ કરી રહ્યાની માહિતી મળેલ છે.


PM મોદીએ BJPના પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના નેતાઓ બેઠકમાં  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે બીજા તબક્કાની ચૂંટણીને લઇ મંથન કરાયું હતું. પીએમ મોદીએ પોતાના માતા હીરા બાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત બાદ તેઓ કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક બોલાવી હતી. જ્યાં તેમણે અમીત શાહ સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં  ઓછા મતદાનના કારણે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ચિંતા છે. તેવામાં હાઇ લેવલ બેઠકથી રાજકીય ગરમાવો આવ્યો છે.