મહીસાગર: મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.
વોર્ડ નંબર ત્રણમાં બે કોંગ્રેસના અને એક અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
ગઈકાલે પણ બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં અન્ય ઉમેદવારોના ફોર્મ નામંજૂર થતા ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાલાસિનોર નગરપાલિકાના સાત વોર્ડમાંથી બે વોર્ડની આઠ બેઠકો ઉપર ભાજપના સભ્યો બિનહરીફ જાહેર કરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ સમયે અનેક જગ્યાએ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હોવાના સમાચાર છે. જુનાગઢ મનપાના 2 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે, તાલુકા પંચાયતના એક અને બાટવા તેમજ માંગરોળ નગરપાલિકાના 11 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જુનાગઢ મનપાના વોર્ડ નંબર 03 અને 14 ના આઠ કોર્પોરેટરો અને વોર્ડ નંબર 12ના એક કોર્પોરેટરે ભાજપના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપ આ બેઠકો પરથી બિનહરીફ વિજેતા જાહેર થયું છે.
બોટાદમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે.
વાંકાનેરમાં પણ ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ
વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું