Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Congress Andolan: પ્રતાપ દૂધાતેએ ખેડૂતોના પાક નુકસાની અને વળતર અંગે બોલતા કહ્યું કે, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો આજે કેમ ચૂપ છે ? ખેડૂતો માટે સાધુ-સંતો આગળ આવે

Congress Andolan: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના રવિ પાકો નુકસાનીમાં ગયા છે. ખેડૂતો સરકાર પાસે મગફળી, ડાંગર, કપાસ સહિતના નુકસાનીમાં ગયેલા પાકોના વળતરની માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરવા મેદાનમાં આવી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખેડૂતોના પક્ષમાં આગામી 3જી નવેમ્બરે આંદોલન કરવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ રાજનીતિ ભરપૂર થઇ રહી છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રતાપ દૂધાતે 3જી નવેમ્બરે ખેડૂતો માટે આંદોલન કરવાની જાહેરાત કરી છે અને અપીલ કરી છે કે, આ મુદ્દે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓને આગળ આવે. ખેડૂતોના દેવા માફની માગ સાથે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.
પ્રતાપ દૂધાતેએ ખેડૂતોના પાક નુકસાની અને વળતર અંગે બોલતા કહ્યું કે, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો આજે કેમ ચૂપ છે ? ખેડૂતો માટે સાધુ-સંતો આગળ આવે, અમૂક ઉદ્યોગપતિઓ સરકારના વચેટિયાઓ બન્યા છે. ખેડૂતો મુદ્દે સાધુ-સંતોએ બોલવું પડશે. સજ્જન માણસો કેમ આજે મૌન છે. કૉંગ્રેસ રાજકારણ નથી કરતી. ભૂતકાળમાં કૉંગ્રેસ સરકારે દેવા માફ કર્યા છે. રાજ્ય સરકારે પણ પાક ધિરાણના દેવા માફ કરવા જોઇએ.
ખેડૂતોની હાલત કફોડી બનીઃ કમોસમી માવઠાની આફત અને ટેકાના ભાવે ખરીદીની અનિશ્ચિતતા
સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક પલળી ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ મુશ્કેલ સમયમાં, રાજ્યના કૃષિ વિભાગે 1લી નવેમ્બરથી મગફળીની ખરીદીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રાજ્યભરના 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ખેડૂતોએ ખરીદી માટે મગફળીનો જથ્થો તૈયાર કર્યો, વાહનોની વ્યવસ્થા ગોઠવી અને વેચાણ માટેની તૈયારીઓ આરંભી દીધી હતી. જોકે, ખરીદીની તારીખ નજીક આવતા જ વરસાદની પરિસ્થિતિને ટાંકીને કૃષિ વિભાગે હાલ પૂરતું ટેકાના ભાવે મગફળીની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, જો ખરીદી મોકૂફ હોય તો વરસાદ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે મગફળીના આ મોટા જથ્થાને સુરક્ષિત રીતે ક્યાં સાચવવો?
ખેડૂતોની મજબૂરી અને આર્થિક તાણ
ખેડૂતોને હાલમાં આગામી વાવેતર માટે તેમજ ઘર-પરિવારના પ્રસંગો અને ખર્ચાઓ કાઢવા માટે તાત્કાલિક રૂપિયાની જરૂરિયાત છે. મોંઘાદાટ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેત મજૂરીના બાકી લેણાં ચૂકવવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ખરીદી શરૂ ન થતાં, ઘણા ખેડૂતો ટેકાના ભાવ કરતાં પણ 300 થી 400 રૂપિયા ઓછા ભાવે બજારમાં મગફળી વેચી દેવા માટે વિવશ બન્યા છે, જેના કારણે તેમને બેવડું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર વહેલી તકે મગફળીની ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોની પ્રબળ માગણી છે, જેથી તેઓ આર્થિક ભીંસમાંથી બહાર આવી શકે.
નોડલ એજન્સીઓ પણ અંધારામાં
આશ્ચર્યની વાત તો એ છે કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી માટે નોડલ એજન્સી છે, તેમ છતાં મગફળીની ખરીદી અંગે કોઈ સત્તાવાર અને ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી. ગુજકોમાસોલના અધિકારીઓ પણ ખરીદી ક્યારે શરૂ થશે તે વિશે અજાણ છે. કેન્દ્ર સરકારે લીલીઝંડી આપ્યા બાદ રાજ્ય સરકારે ખરીદીની જાહેરાત કરી હતી, પરંતુ અંતિમ ઘડીએ ખરીદીનો નિર્ણય મોકૂફ રખાતા ખેડૂતોમાં ભારોભાર નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં કમોસમી વરસાદના કારણે જ આ નિર્ણય લેવાયો છે અને ખરીદીની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.





















