આણંદ: ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે. 50 વર્ષના વ્યક્તિના હાથની કોણીના ઓપરેશન દરમિયાન મોત થતા હોબાળો મચ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીને સાંજે 8 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જો કે રાત્રિના 11 વાગ્યા સુધી યુવકને બહાર ન લવાતા  પરિવારજનોને શંકા ગઈ હતી. 


મૃતક પરિવારજનોને શંકા જતાં ઓપરેશન થિયેટરમાં જોતા યુવક મૃત હાલતમાં હતો. ત્યાર બાદ મૃતકના પરિજનોએ ઉમરેઠની નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલ સામે બેદરકારીનો આરોપ મૂક્યો છે. હાલમાં મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મૃતક પરિવારજનો દ્વારા પેનલ પીએમ કરાવવાની પણ માગ કરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે વધુ તપાસ આરંભી મૃતદેહને પેનલ પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો છે. ઉમરેઠ નગરમાં આ અગાઉ પણ નિવાન હોસ્પિટલ વિવાદોમાં આવી હતી.


ગોપાલ ઇટાલીયા સહિત આપના અનેક નેતાઓને પોલીસે કર્યા ડિટેન, જાણો શું છે મામલો
સુરત: આમ આદમી પાર્ટીની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, આપ નેતા રામ ધળુંક સહિત કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પરમિશન વગર પદયાત્રા કરતા તમામ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. આ પદયાત્રા અંગે સામે આવેલી વિગતો મુજબ ગઈકાલે શાળા પ્રવેશોત્સવમાં આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.જેમાં ભાજપના કાર્યકરોએ આપ નેતા પર હુમલો કર્યો હોવાનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હતું. જો કે તેઓ પદયાત્રા શરૂ કરે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી ડિટેન કરી લીધા છે.


તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી


ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પહોંચી છે. નોંધનિય છે કે, ગઈકાલે ગુજરાત એટીએસની ટીમ મુંબઈથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસની બે ટીમ પહોંચી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા શેતલવાડ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર સામે બનાવટી દસ્તાવેજો બનાવીને કાવતરા હેઠળ ખોટી કાર્યવાહી શરૂ કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસમાં તિસ્તા અને શ્રીકુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જ્યારે સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે.  હવે મળતી માહિતી પ્રમાણે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ક્રાઇમ બ્રાન્ચ લઈ જાય તેવી શકતાઓ છે. સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુર સબ જેલમાં ndps હેઠળ છે . પૂછપરસ માટે ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટને આધારે લઈ જાય તેવી શક્યતાઓ છે.