ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદમાં 2 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ દર્દી 493 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે અને 44 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જોકે આજે ગુજરાત સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે. ગુજરાતમાં વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત કિસાન યોજના હેઠળ 47 લાખ 81 હજાર ખેડૂતોને રૂપિયા 2000નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે. જ્યારે રૂ. 1,182 કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે.