ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાંથી 25 જિલ્લાઓમાં જ કોરોના પોઝિટિવના કેસ નોંધાયેલા હતાં જોકે આજે વધુ ત્રણ જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જકે હજુ પાંચ જિલ્લા એવા છે જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી.


ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતના એવા પાંચ જિલ્લા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતના આ પાંચ જિલ્લા અમરેલી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોરોનાનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી.

મહત્વની વાત છે કે, આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ હતી તેની સાથે 28 જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાય છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે નવા 93 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1939 પર પહોંચી છે. આજે વધુ 4 લોકોના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.