કચ્છઃ બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિથી ગુજરાત પર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડુ માંડવીના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



તે સિવાય ચક્રવાત બિપરજોય સંભવિત કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. જેને પગલે કચ્છના બે યાત્રાધામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આગામી 15 જૂન સુધી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મંદિર  બંધ રહેશે.


ઉલ્લેખનીય છે કે આ અગાઉ વાવાઝોડાને પગલે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13  જૂન રજા જાહેર કરાઈ હતી. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે. વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી 320 કિ.મી, દ્વારકાથી 360 કિ.મી, નલિયાથી 440 કિ.મી, જખૌથી 440 કિ.મી દૂર છે. વાવાઝોડુ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ યથાવત છે. વાવાઝોડુ માંડવી, કરાચી, જખૌની વચ્ચે પસાર થવાની શક્યતા છે. વાવાઝોડુ 15 જૂને બપોરે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું પસાર થાય ત્યારે 125થી 150 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.


વાવાઝોડાને લઈને રાજ્યના બંદરો પર સિગ્નલ બદલાયા હતા. મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દ્વારકામાં 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. રાજ્યના નવ બંદરો પર નવ નંબરના ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.


કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી


વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એક NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.


વાવાઝોડાને લઈને કચ્છ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના તમામ બંદરો ઉપર કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.