ગાંધીનગર: તૌકતે વાવાઝોડાએ (Cyclone Tauktae) રાજ્યમાં ગઈકાલે તબાહી મચાવી હતી. રાજ્યમાં વાવાઝોડાના કારણે હજારો ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હાલ 4591 ગામમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. જેમાં ભાવનગર જીલ્લાના 710 ગામ,અમરેલી જીલ્લાના 576 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 409 ગામનો સમાવેશ થાય છે.


વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેંદ્રનગર, રાજકોટ, મોરબી, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.


બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થયો છે. જો કે ગુરુવાર સાંજ સુધી વાતાવરણ પૂર્વવત થવા લાગે તેવી સંભાવના છે.


રાજ્ય પર ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ સંઘ પ્રદેશ દિવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાને લીને રાજ્યમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઉના, કોડિનાર, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે ભારે બરબાદી થઈ છે. દિવના દરિયાકાંઠાને રાજ્યમાં પ્રવેશેલા વાવાઝોડાએ જે પણ સામે આવ્યુ તબાહ કરી દીધુ છે. વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજારથી વધુ ઝુંપડા અને કાચ મકાનો ઉપરાંત મોબાઈલ ટાવરો જમીનદોસ્ત થયા છે.


વાવાઝોડાને લીધે મકાન ધરાશાયી થવાથી, વીજ થાંભલા પડવાથી અને કરંટ લાગવાને લીધે રાજ્યમાં 13 લોકો મોત નિપજ્યા છે. ઠેર ઠેર વૃક્ષો પડતા કેટલાય સ્થળોએ વાહનો દટાયા છે. વાવાઝોડાને લીધે ગીર પંથકમાં કેરી અને નાળિયેરના પાકને ભારે નુકસાન થયુ. આ ઉપરાંત ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં કેળા, ચીકુ, શેરડી, તલ, અળદ અને ડાંગરનો પાક બરબાદ થયો છે.