જૂનાગઢઃ વરસાદે વિરામ લીધો હોવા છતાં હજી સુધી વરસાદના પાણી ઘણી જગ્યાએ ઓસર્યા નથી. જૂનાગઢ જિલ્લાના માણાવદરના દેશીંગા ગામમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.


ગામના ખેતરો હોય કે બજારો હજુ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ગામના ખેતરો તળાવમાં ફેરવાતા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો માલ સામાન પલળી ગયો છે. ગામના કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીની વસ્તુઓ પલળી ગઈ છે.

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદમાંથી રાહત મળે તેવી સંભાવના છે. જોકે બાદમાં ફરીથી વરસાદ જોર પકડશે તેવી હવામામ વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત પર અસર જોવા મળી શકે છે, જેને પગલે 29 ઓગસ્ટથી ફરી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 108 ટકા વરસાદ નોંધાયો છે.

29 ઓગસ્ટના દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એ સિવાય દાદરાનગર હવેલી,નવસારી,વલસાડમાં હળવો વરસાદ રહેશે. સુરત, અમરેલી, ભાવનગરમાં પણ હળવો વરસાદ રહેશે. અમદાવાદ,વડોદરા,ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.