શામળાજી: યાત્રાધામ શામળાજીમાં કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી મેળો ભરાય છે. ત્યારે આજે કારતક સુદ પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.  જ્યાં શામળાજી ખાતે મેળો પણ ભરાયો હતો આ મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે બીજી તરફ આજે ચદ્રં ગ્રહણ છે ત્યારે ગુજરાતનું એક માત્ર શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાશે અને ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવશે.  


શામળાજીમાં આવેલા નાગધરો કુંડ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નાગધરો કુંડ મેશ્વો ડેમના કિનારે આવેલો છે. ખાસ ચૌદશની આખી રાત અને પૂનમના દિવસે દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવે છે. નાગધરો કુંડ પાસે વૈદિક પંડિતો પૂજા વિધિની સામગ્રી સાથે ઉપસ્થિત હોય છે. શ્રદ્ધાળુઓ પંડિતો પાસે પિતૃ તર્પણની વિધિ કરાવે છે અને પોતાના પિતૃઓના અસ્થિ વિધિ કર્યા બાદ નાગધરો કુંડમાં વિધિસર પધરાવે છે અને પોતે પણ સ્નાન કરે છે. પોતે જે વસ્ત્ર પહેરેલ છે તેનો પણ ત્યાં જ ત્યાગ કરે છે. આમ કરવાથી ગત થયેલા પિતૃઓના આત્માને શાંતિ મળે છે. આમ ઐતિહાસિક મહત્વ ધરાવતા નાગધરો કુંડનો અનેરો મહીમાં રહેલો છે.


દહેગામથી ઉમેદવાર બદલ્યા


આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.


આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.


જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો


આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા.  આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક સુધી રોડ શોનું આયોજન કરાયું હતું.  500 મીટરના રોડ શોમાં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.  કેજરીવાલે  જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પણ સુધારવામાં આવશે.  સાથે-સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરીવાલે જનતા સમક્ષ અપીલ કરી હતી.