અમદાવાદ:  રોડના નવીનીકરણના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો અન્ય કોઈ નહીં પણ ભાજપના નેતાએ જ અવાજ ઉઠાવ્યો છે.  લેભાગુ કૉંટ્રાકટર, કટકીબાજ અધિકારી અને ભ્રષ્ટ લોક સેવક સામે અમરેલીના ભાજપના જ આગેવાન ડૉક્ટર ભરત કાનાબારે અવાજ ઉઠાવ્યો છે.  ભરત કાનાબારે નબળા રોડ બનાવવા સાથે જોડાયેલા લોકોને ટુકડે ટુકડે ગેંગ ગણાવી છે.  


એક- બે ચોમાસામાં રસ્તા તૂટતા કરોડો રૂપિયા વડેફાટા હોવાનો ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે.  ટ્વીટરના માધ્યમથી ભરત કાનાબારે સરકારી વિભાગની જ પોલ ખોલી છે. . સી.આર પાટીલ અને ભૂપેંદ્ર પટેલને પણ ટ્વીટના માધ્યમથી ભાજપ નેતાએ સંદેશ આપ્યો છે.  નબળા કામ ચાલતા હોય ત્યાં જનતાએ વિરોધ કરવા બહાર આવવું પડે તેવો પણ ભરત કાનાબારે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.  લોકોએ પણ સ્વીકારી લીધુ છે કે આ સમસ્યા કાયમીની બની છે.  જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આવા લોકો સામે પાર્ટી પણ કાર્રવાઈ કરે છે. આંખ સામે બધુ બને છે છતા જનતા બોલતી નથી અને અવાજ પણ નથી ઉઠાવતી.  જનતાએ હવે તમામ સમસ્યા સ્વીકારી હોય તેમ અવાજ ઉઠાવતા નથી. 


ભારે વરસાદને પગલે અનેક રસ્તાની સ્થિતિ કફોડી,  રાજયનાં 56 ૨સ્તા બંધ


રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતું આજે સાંજે 4 વાગ્યા સુધી હજુ પણ રાજ્યના 56 રોડ- રસ્તા  બંધ હાલતમાં છે. પોરબંદર અને રાજકોટના બે સ્ટેટ હાઈવે સહિત કુલ 8 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો એક સ્ટેટ હાઈવે પણ બંધ હાલતમાં છે. જ્યારે પંચાયત હસ્તકના કુલ 38 માર્ગો બંધ છે. સૌથી વધુ રાજકોટ અને પોરબંદરમાં પંચાયત હસ્તકના 12 રસ્તા બંધ હાલતમાં છે.  અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, છોટાઉદેપુરમાં ચાર રસ્તા બંધ છે.   જ્યારે જૂનાગઢમાં આઠ તો ભાવનગરમાં છ રસ્તા બંધ હાલતમાં છે.  આ ઉપરાંત નર્મદા, જામનગર, દ્વારકા, સુરેંદ્રનગર અને ગીર સોમનાથમાં એક- એક રોડ બંધ હાલતમાં છે. 



શાહીન વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી દૂર હોવાથી રાજ્યમાં નુકસાન થવાની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાદરનગર હવેલી, દીવમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે.