અમરેલી: સાવરકુંડલાના મીતીયાળા સહિતના આજુબાજુના ગામમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. સાવરકુંડલાના મીતીયાળા, અભરામપરા, કૃષ્ણગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના સમયે 9 વાગ્યા આસપાસ મીતીયાળા સહિતના ગામડાઓમાં હળવો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મીતીયાળા જંગલ સહિતમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના હળવા આંચકાઓથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે. જિલ્લા કલેકટર ગૌરવ મકવાણાએ ભૂકંપનો હળવો આંચકો આવ્યો હોવાની પુષ્ટી કરી છે.


કાલે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.  સોમવારે (5 ડિસેમ્બર) મતદાન થશે, સોમવારે બીજા તબક્કામાં રાજ્યની કુલ 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં મતદાન યોજાનારી 93 બેઠકો માટે 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બીજા તબક્કામાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ પણ દાવ પર છે.


ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.


આ ઉપરાંત કૉંગ્રેસના  નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા  મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.


છેલ્લી ચૂંટણીમાં શું સ્થિતિ રહી?


જો આપણે અહીં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના પ્રદર્શનની વાત કરીએ તો અહીંથી ભાજપે કુલ 51 બેઠકો જીતી હતી. આ દરમિયાન કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી જ્યારે ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનું નસીબ ચમક્યું હતું. મધ્ય ગુજરાતમાં ભાજપે 37 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને અહીંથી 22 બેઠકો મળી હતી. શનિવારે (3 ડિસેમ્બર) બીજા તબક્કાના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા.